આદસંગ ગામમાં લાખોના ખર્ચે વિકાસ – development at a cost of lakhs in Adasang village | અમરેલી
Last Updated:
Amreli News: વર્ષો સુધી વિકાસથી વંચિત રહેલું અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું આદસંગ ગામ આજે બદલાવની નવી ઓળખ બનાવી રહ્યું છે. 50 લાખ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના કારણે ગામમાં પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પેવર રોડ અને ડિજિટલ પંચાયત જેવી સુવિધાઓ ઊભી થઈ છે. આ વિકાસથી આદસંગ ગામ હવે “સ્માર્ટ ગામ” બનવાની દિશામાં મજબૂત પગલું ભરી ચૂક્યું છે.
અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સતત વિકાસની ગતિ જોવા મળી રહી છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે તાજેતરમાં થયેલા વિકાસકાર્યોના કારણે ગામનો ચહેરો સંપૂર્ણ બદલાઈ ગયો છે. આદસંગ ગામમાં 50 લાખ રૂપિયાથી વધુના ખર્ચે વિવિધ વિકાસના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેના કારણે ગામને “સ્માર્ટ ગામ” તરીકે વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
આદસંગ ગામ અગાઉ વર્ષો સુધી વિકાસથી વંચિત રહ્યું હતું. મૂળભૂત સુવિધાઓના અભાવે ગ્રામજનોને અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે ગ્રામ પંચાયત અને સ્થાનિક પ્રતિનિધિઓના પ્રયાસોથી ગામમાં સતત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગામના દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જે ગ્રામજનો માટે સૌથી મોટી રાહતરૂપ સાબિત થયું છે. સાથે જ તમામ ઘરોમાં ગટર લાઇન નાખવામાં આવતા સ્વચ્છતા અને આરોગ્યની દૃષ્ટિએ પણ નોંધપાત્ર સુધારો થયો છે.
ગામના આંતરિક માર્ગોનું પણ નવીનીકરણ થયું છે. પેવર બ્લોક અને સીસી રોડથી આખું ગામ શોભી રહ્યું છે, જેના કારણે અવરજવર સરળ બની છે. વરસાદી મોસમમાં કાદવ અને ધૂળની સમસ્યા હવે ભૂતકાળની વાત બની ગઈ છે. ગામમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ડબલ પટ્ટીનો બનાવાતા વાહન વ્યવહાર વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત બન્યો છે.

આદસંગ ગામની પંચાયત ઓફિસને પણ આધુનિક બનાવવામાં આવી છે. સ્માર્ટ અને ડિજિટલ પંચાયત ઓફિસ શરૂ થતાં હવે ગ્રામજનોને વિવિધ સરકારી કામગીરી માટે તાલુકા કે જિલ્લા મથકે જવું પડતું નથી. ખેડૂતો, સ્થાનિક લોકો અને ગ્રામજનોના કામો હવે ગામમાં જ સરળતાથી થઈ રહ્યા છે. ડિજિટલ સુવિધાઓને કારણે પારદર્શિતા વધી છે અને સમયની બચત પણ થઈ રહી છે. આ વિકાસકાર્યો અંગે ચંદુ ગોલણભાઈએ જણાવ્યું કે તેઓ ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલ છે અને તેઓ જન્મથી જ આદસંગ ગામમાં રહે છે. તેમના જણાવ્યા મુજબ આદસંગ ગામ વર્ષોથી વિકાસથી વંચિત હતું, પરંતુ હાલ જે રીતે સતત વિકાસના કામો થઈ રહ્યા છે તે જોઈને ગામ ખરેખર ખીલી ઉઠ્યું છે. લોકોના હિત માટેના કાર્યો થવાથી ગ્રામજનોમાં સંતોષ અને ઉત્સાહ જોવા મળે છે.