કચ્છ રણોત્સવમાં બે વર્ષમાં 1797202 પ્રવાસીઓ, રાજ્યને 17 કરોડથી વધુ આવક | ગાંધીનગર
Last Updated:
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે કચ્છનો રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન ગૃહ વિભાગ, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગ્રામ રક્ષક દળ અને નશાબંધી, વાહન વ્યવહાર કાયદો અને ન્યાયતંત્ર તેમજ રમતગમત, મીઠા ઉદ્યોગ જેવા વિષયો ઉપરની પ્રશ્નોત્તરીથી ગૃહની શરૂઆત થઈ હતી. જેમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે કચ્છનો રણોત્સવ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ રહ્યો હતો. વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, જેના કારણે રાજ્ય સરકારની તિજોરીમાં કરોડો રૂપિયાની આવક થઈ છે.
જે અંતર્ગત આજે પ્રશ્નોત્તરીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા દ્વારા વિધાનસભામાં પૂછવામાં આવ્યું હતું કે, 31/12/2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રણોત્સવ દરમિયાન રાજ્ય સરકારને પ્રીમિયમ મેનેજમેન્ટ ફી કેટલી વસૂલે છે. જે અંગે ગૃહમાં પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, રણોત્સવ દરમિયાન રાજ્ય સરકાર પ્રીમિયમ મેનેજમેન્ટ ફી વસૂલે છે. જે અન્વયે કુલ રૂ. 17,06,35,668/- (સત્તર કરોડ છ લાખ પાંત્રીસ હજાર છસ્સો અડસઠ)ની માતબર આવક થઈ છે.
માત્ર આવક જ નહીં, પરંતુ પ્રવાસીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જે અંગેના પેટા પ્રશ્નમાં સરકારી આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા. તે અંગે જોઈએ તો વર્ષ 2024 (એટલે કે 01/01/2024 થી 31/12/2024) દરમિયાન કુલ 8,55,565 પ્રવાસીઓએ રણોત્સવની પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે વર્ષ 2025 (01/01/2025 થી 31/12/2025) દરમિયાન આ સંખ્યામાં વધારો થયો છે. એટલે કે 2025 વર્ષમાં 9,41,637 પ્રવાસીઓએ મુલાકાત કરી છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ 17,97,202 પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લઈને રણોત્સવનો આનંદ માણ્યો છે. પ્રવાસીઓની સંખ્યાનો ઘસારો જોતા લાગે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
