ગાંધીનગર: ગુજરાતના પોલીસ બેડામાં પ્રમોશનનો તખ્તો તૈયાર, ગૃહ વિભાગે બઢતીનો માર્ગ ખુલ્લો કર્યો-Home Department opens path for promotion in Gujarat Police Department | ગાંધીનગર


Last Updated:

લાંબા સમયથી ગુજરાતના પોલીસ વિભાગમાં પ્રમોશનની પ્રક્રિયા અટકી હતી. જોકે ગૃહ વિભાગે હવે 2001ની બેચના બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરો માટે ખાતાકીય તપાસ અને ઇન્ક્વાયરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી 2008ની બેચના અધિકારીઓ માટે હવે બઢતીનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

પોલીસ બેડામાં પ્રમોશનનો તખ્તો તૈયાર
પોલીસ બેડામાં પ્રમોશનનો તખ્તો તૈયાર

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લાંબા સમયથી અટવાયેલા પ્રમોશન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગે 2001ની બેચના બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો માટે ખાતાકીય તપાસ અને ઇન્ક્વાયરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેતા હવે 2008ની બેચના અધિકારીઓ માટે પણ બઢતીનો માર્ગ ખુલ્લો થયો છે. આ પ્રક્રિયા અંતર્ગત તાજેતરમાં 67 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોને એસીપી (ડીવાયએસપી) પદ પર પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે આગામી દિવસોમાં વધુ 50થી વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.

ગૃહ વિભાગના સૂત્રો અનુસાર, કુલ 119 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની વિગતો મંગાવવામાં આવી હતી. તેમાંથી વિવિધ ખાતાકીય તપાસ, ઇન્ક્વાયરી અને શિસ્તભંગ સંબંધિત મુદ્દાઓને કારણે કેટલાક અધિકારીઓના પ્રમોશન અટક્યા હતા. હવે મોટા ભાગની તપાસ પૂર્ણ થતાં તબક્કાવાર રીતે બાકી રહેલા અધિકારીઓને પણ પ્રમોશન આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ, 2001થી 2004ની બેચના સૌથી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરોની ડીપીસી (ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી) પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેના પરિણામે, લાંબા સમયથી પ્રમોશનની રાહ જોતા અધિકારીઓને રાહત મળી છે. ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી પોલીસ ઇન્સ્પેક્ટરથી ડીવાયએસપી પદ પર બઢતી અટવાયેલી હતી, જેના કારણે જુનિયર બેચના અધિકારીઓનું પ્રમોશન પણ અટક્યું હતું.

હવે 2001ની બેચના 67 અધિકારીઓને એસીપી (ડીવાયએસપી) તરીકે પ્રમોશન આપવામાં આવતાં, તેમની પાછળની લાઇનમાં રહેલા અધિકારીઓ માટે પણ રસ્તો ખુલ્લો થયો છે. ગૃહ વિભાગે 2008ની બેચના અધિકારીઓની વિગતો પણ મંગાવી લીધી છે, જે દર્શાવે છે કે આગામી તબક્કામાં જુનિયર અધિકારીઓ માટે પ્રમોશનની પ્રક્રિયા શરૂ થવાની છે.

ગૃહ વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ વિભાગમાં લાંબા સમયથી ચાલી રહેલી અસંતોષની લાગણી ઘટશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો થશે. તબક્કાવાર રીતે તમામ લાયક અધિકારીઓને પ્રમોશન આપવામાં આવશે, જેથી પદોની ખાલી જગ્યાઓ ભરી શકાય અને મેદાનમાં કાર્યરત પોલીસ તંત્રને વધુ મજબૂત બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે પ્રમોશનની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ તંત્રમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની સંખ્યા વધશે, જે કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. ગૃહ વિભાગ દ્વારા આગામી દિવસોમાં બાકી રહેલા અધિકારીઓના પ્રમોશન અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *