રમજાન મહિનામાં યુવાનોની સેવા – Youth service during the month of Ramadan | રાજકોટ
Last Updated:
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં અનેક પરિવારો માટે આ રમજાન માસ દુઃખ અને સંઘર્ષ વચ્ચે પસાર થઈ રહ્યો છે. ઘરોના ડિમોલિશન બાદ છત વિહોણા બનેલા પરિવારો માટે સહેરી અને ઇફતારની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર બની ગયો છે. આવા કપરા સમયમાં જંકશનના યુવાનો માનવતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દરરોજ ઇફતાર અને સહેરીની વ્યવસ્થા કરીને તેઓ મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહારો આપી રહ્યા છે.
રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અનેક પરિવારો માટે આ વર્ષનો પવિત્ર રમજાન માસ દુ:ખદ યાદો લઈને આવ્યો છે. “નથી રહી છત, નથી રહી જમીન” જેવી પરિસ્થિતિ વચ્ચે રોજા રાખતા લોકો માટે સહેરી અને ઇફતારની વ્યવસ્થા કરવી પણ મોટો પડકાર બની ગયો છે. ઘરોના ડિમોલિશન બાદ અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન જીવવા મજબૂર બન્યા છે.
આવા સંજોગોમાં જંકશનના યુવાનોનું એક ગ્રુપ માનવતા અને એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. પોતાના વિસ્તારના રોજેદારોને મુશ્કેલી ન પડે તે માટે યુવાનો દરરોજ સાંજે ઇફતારની વ્યવસ્થા કરી રહ્યા છે. ખજૂર, ફળ, ફરાળી નાસ્તો, પાણી અને અન્ય જરૂરી ખાદ્ય સામગ્રી સાથે સરળ પરંતુ સ્નેહભર્યું ઇફતારનું આયોજન કરવામાં આવે છે. માત્ર ઇફતાર જ નહીં, સહેરી માટે પણ કેટલાક પરિવારો સુધી ખોરાક પહોંચાડવાની સેવા ચાલુ છે.

યુવાનોનું કહેવું છે કે, રમજાન માત્ર ઉપવાસનો માસ નથી, પરંતુ સહાનુભૂતિ, સદ્ભાવના અને સેવા ભાવનો સંદેશ આપે છે. જ્યારે પોતાના વિસ્તારમાં લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેમની મદદ કરવી એ દરેકની ફરજ છે. ઘણા દાતાઓ અને સમાજસેવકો પણ આ કાર્યમાં જોડાયા છે, જેથી વધુમાં વધુ પરિવારોને સહાય મળી શકે.
મહિલાઓ અને બાળકો માટે ખાસ કાળજી રાખવામાં આવે છે. વૃદ્ધ લોકો સુધી ખોરાક પહોંચે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઇફતારના સમયે સૌ સાથે બેસીને દુઆ કરવામાં આવે છે કે, પરિસ્થિતિ જલ્દી સુધરે અને તમામને ફરીથી સુરક્ષિત છત મળે. જંકશનના આ યુવાનોની પહેલથી વિસ્તારમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. મુશ્કેલીના સમયમાં એકતા અને માનવતાનો આ સંદેશ સમાજ માટે પ્રેરણારૂપ છે. રમજાનના પવિત્ર માસમાં સેવા અને સહકારનો આ ભાવ ખરેખર કાબિલે દાદ છે.