લોકસભા અધ્યક્ષે 64 સંસદીય ફ્રેન્ડશિપ ગ્રુપ્સ બનાવ્યા:દરેક ગ્રુપમાં એક નેતા સહિત 11 સાંસદો; ફ્રાન્સમાં થરૂર, જાપાનમાં અખિલેશ યાદવ નેતૃત્વ કરશે
![]()
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે 64 દેશો સાથે પાર્લામેન્ટરી ફ્રેન્ડશિપ ગ્રુપ્સ (PFG) ની રચના કરી છે. આ ગ્રુપ્સનો ઉદ્દેશ્ય અન્ય દેશો સાથે સંસદીય રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાનો અને વૈશ્વિક મંચ પર ભારતની સંસદનો એકજુટ લોકતાંત્રિક અવાજ રજૂ કરવાનો છે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ઓપરેશન સિંદૂરની સફળતા પછી PM મોદીએ ભારત અને અન્ય દેશો વચ્ચે સંવાદ વધારવા માટે PFG બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે લોકસભા અધ્યક્ષે તેની રચના કરી છે. 64 ગ્રુપ્સમાં લોકસભા અને રાજ્યસભાના કુલ 704 સાંસદો છે. દરેક ગ્રુપમાં એક નેતા અને 10 સભ્યો છે. તેમાં ભાજપના સૌથી વધુ 30 ગ્રુપ લીડર છે. કોંગ્રેસના 10, સમાજવાદી પાર્ટી, દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 3-3 સાંસદોને ગ્રુપ લીડર બનાવવામાં આવ્યા છે. ભાજપ તરફથી ગ્રુપ લીડર્સમાં હેમા માલિની, મનોજ તિવારી, નિશિકાંત દુબે જેવા મોટા નામોનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી શશિ થરૂર, TMCમાંથી અભિષેક બેનર્જી અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીને પણ ગ્રુપ લીડર બનાવવામાં આવ્યા છે. જોકે, PFGના સભ્યો કેવી રીતે કામ કરશે તેની ઔપચારિક જાણકારી હજુ આપવામાં આવી નથી. ઓપરેશન સિંદૂર : 59 સભ્યોનું ડેલિગેશન 33 દેશોમાં ગયું હતું કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર પછી દુનિયાભરમાં ભારતનો પક્ષ રજૂ કરવા માટે 17 મે 2025ના રોજ 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી હતી. તેમાં 51 નેતાઓ અને 8 રાજદૂતો હતા. NDAના 31 અને અન્ય 20 પક્ષોના નેતાઓ હતા, જેમાં 3 કોંગ્રેસના નેતાઓ પણ હતા. આ પ્રતિનિધિમંડળ વિશ્વના 33 દેશોમાં, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના સભ્ય દેશોમાં ગયું અને ત્યાં ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનો પક્ષ રજૂ કર્યો. આ પ્રતિનિધિમંડળને 7 જૂથોમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક જૂથમાં એક સાંસદને નેતા બનાવવામાં આવ્યા હતા. દરેક જૂથમાં 8 થી 9 સભ્યો હતા. જેમાં 6-7 સાંસદો, વરિષ્ઠ નેતાઓ (પૂર્વ મંત્રીઓ) અને રાજદૂતોનો સમાવેશ થતો હતો. 7 પ્રતિનિધિમંડળોએ દુનિયાને 5 સંદેશ આપ્યા આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ : તેમાં જણાવાયું કે ઓપરેશન સિંદૂર આતંકવાદી જૂથો અને તેમના માળખાં વિરુદ્ધ હતું. આતંકવાદી અડ્ડાઓને ચોક્કસ કાર્યવાહીમાં નિશાન બનાવવામાં આવ્યા. પાકિસ્તાની સેનાએ તેને પોતાની વિરુદ્ધ હુમલો ગણીને વળતો પ્રહાર કર્યો. પાકિસ્તાન આતંકવાદનું સમર્થક : સાંસદો કેટલાક પુરાવા લઈને ગયા, જેમાં તેમણે જણાવ્યું કે પહેલગામ હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ની ભૂમિકા હતી. આ પહેલા થયેલા હુમલાઓની પણ સંપૂર્ણ વિગતો સાંસદો લઈને ગયા હતા. ભારત જવાબદાર અને સંયમિત : ભારતે સૈન્ય કાર્યવાહીમાં પણ જવાબદારી અને સંયમનો પરિચય આપ્યો. એ સુનિશ્ચિત કર્યું કે પાકિસ્તાનના કોઈ નિર્દોષ નાગરિકનો જીવ ન જાય. પાકિસ્તાને કાર્યવાહી રોકવા વિનંતી કરી ત્યારે ભારતે તેને તત્પરતાથી સ્વીકારી. આતંકવાદ વિરુદ્ધ વિશ્વ એકજૂટ થાય : સાંસદોએ આ દેશો પાસેથી આતંકવાદ વિરુદ્ધ ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અને તેનો સામનો કરવા માટે સહયોગ અને સમર્થનની માગ કરી. અપીલ કરી કે ભારત-પાકિસ્તાનના વિવાદને આતંકવાદ વિરુદ્ધના યુદ્ધ તરીકે જોવામાં આવે. પાકને લઈને અમારી નીતિ : પાક વિરુદ્ધ ભારતે પોતાનો બદલાયેલો દ્રષ્ટિકોણ ઉજાગર કર્યો છે. ભારત સરહદ પારથી પેદા થતા ખતરાને લઈને ઉદાસીન રહેવાને બદલે પ્રો-એક્ટિવ વલણ અપનાવશે અને આતંકી હુમલાખોરોને પહેલાથી જ નિષ્ક્રિય કરશે. ——————— આ સમાચાર પણ વાંચો… કેરળનું નામ હવે કેરલમ, કેબિનેટની મંજૂરી:અમદાવાદ મેટ્રો વિસ્તરણને લીલી ઝંડી, ₹1067 કરોડ મંજુર; ₹12,236 કરોડના રેલ, મેટ્રો અને એરપોર્ટ પ્રોજેક્ટ્સ મંજૂર, સેવાતીર્થમાં પ્રથમ બેઠક PM નરેન્દ્ર મોદીના નવા કાર્યાલય સેવા તીર્થમાં મંગળવારે કેન્દ્રીય મંત્રીમંડળની પ્રથમ બેઠક યોજાઈ. તેમાં કુલ 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટે મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ત્રણ રેલ પ્રોજેક્ટ સહિત કુલ 8 નિર્ણયો લીધા છે. બેઠકમાં પાવર સેક્ટરમાં સુધારા પર નીતિ સંબંધિત નિર્ણયો લેવાયા અને કેરળ સરકારના રાજ્યનું નામ બદલીને કેરલમ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. સંપૂર્ણ સમાચાર વાંચો…
Source link