વિધાનસભામાં ગુંજ્યો વિસાવદરનો અવાજ: ગોપાલ ઈટાલિયાએ ખેડૂત સહાય અને તંત્રની નિષ્ફળતા મુદ્દે સરકારને ઘેરી-Visavadar MLA Gopal Italia attacked the government on the issue of assistance provided to farmers In the assembly | ગાંધીનગર


Last Updated:

વિધાનસભામાં આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા સરકારને ઘેરવામાં આવી હતી. જેમાં તેમણે ખેડૂતોને મળતી સહાય અને તંત્રની નિષ્ફળતાને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા.

વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાના સરકાર પર પ્રહાર
વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાના સરકાર પર પ્રહાર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પૂરક બજેટ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાજ્ય સરકાર સામે તીખા સવાલો ઉઠાવતાં ગૃહમાં તીવ્ર ચર્ચા જગાવી હતી. ખેતીને લગતી સહાય, ગ્રામ્ય વિસ્તારોમાં બેધ્યાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકશાહી પદ્ધતિ અંગેની નવી વ્યવસ્થાઓને લઈ તેમણે સરકારની નીતિઓને નિશાને લીધી હતી.

ચર્ચાની શરૂઆત કરતાં ઈટાલિયાએ વિસાવદર તાલુકાના હસનાપુર ગામ સહિત અનેક ગામોના ખેડૂતો હજુ પણ માવઠા સહાયથી વંચિત હોવાનું જણાવ્યું. તેમના કહેવા મુજબ, ઓનલાઈન પોર્ટલ પર સહાય ચૂકવાઈ હોવાનું દર્શાવવામાં આવે છે, જ્યારે જમીનસ્તરે ખેડૂતોને કોઈ રકમ મળેલી નથી. “ડેટામાં બધું ઠીક દેખાડવામાં આવે છે, પરંતુ ખેડૂતોના ખાતામાં એક રૂપિયો પણ નથી પહોંચ્યો,” એમ તેમણે ગૃહમાં જણાવ્યું.

તેમણે વધુમાં કહ્યું કે અગાઉની ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ હેઠળ 100 ટકા વળતરની જોગવાઈ હતી, પરંતુ હાલની વ્યવસ્થામાં માત્ર પેકેજ જાહેર કરીને જવાબદારી પૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ભાગે ખેતી કરતા ખેડૂતોને વળતર મળતું ન હોવાનો મુદ્દો તેમણે ઉઠાવ્યો. તેમના મતે, આવી સ્થિતિમાં નાના અને ભાડે ખેતી કરતા ખેડૂતો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે.

ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ અંગે બોલતાં ઈટાલિયાએ બરડીયા ગામના સરકારી દવાખાનાનું ઉદાહરણ આપ્યું. તેમના જણાવ્યા મુજબ, દવાખાનાના બાંધકામમાં ગંભીર ખામીઓ છે અને ટોયલેટના નળ-દરવાજાની ડિઝાઇન જેવી મૂળભૂત બાબતોમાં પણ બેદરકારી જોવા મળે છે. “એક તરફ વિકાસના દાવા થાય છે અને બીજી તરફ ગામડાંમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકો સંઘર્ષ કરે છે,” એમ કહી તેમણે તંત્ર પર સવાલો ઉઠાવ્યા.

પાણી પુરવઠા મુદ્દે તેમણે વિસાવદરના દસ જેટલા ગામોમાં જર્જરિત પાણીની ટાંકીઓનો પ્રશ્ન ઉઠાવ્યો. તેમના કહેવા મુજબ, વારંવાર રજૂઆતો છતાં ટાંકીઓ તોડવા કે નવી બનાવવા અંગે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોમાં અકસ્માતની ભીતિ હોવા છતાં વિભાગીય સ્તરે કામગીરી થતી નથી, એમ તેમણે આક્ષેપ કર્યો.

ચર્ચા દરમિયાન સરકારના તાજેતરના પરિપત્રનો પણ મુદ્દો ઉઠાવ્યો, જેમાં વિપક્ષના આક્ષેપો અને પ્રશ્નોના જવાબ હવે સંબંધિત નોડલ ઓફિસર અથવા સચિવ દ્વારા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઈટાલિયાએ આ વ્યવસ્થાને લોકશાહી માટે યોગ્ય ન ગણાવી. “પ્રશ્નોનો જવાબ ચૂંટાયેલા મંત્રીઓએ આપવો જોઈએ. જવાબદારી અધિકારીઓ પર ઢોળવાથી રાજકીય જવાબદારી ટળી જાય છે,” એમ તેમણે જણાવ્યું.

ગૃહમાં થયેલી આ રજૂઆતોને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીવ્ર ચર્ચા જોવા મળી હતી. ખેડૂત સહાયના આંકડા, ગ્રામ્ય વિકાસની વાસ્તવિક સ્થિતિ અને શાસન પદ્ધતિમાં પારદર્શિતાને લઈને આગામી દિવસોમાં પણ વિધાનસભામાં ચર્ચા તેજ રહેવાની શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *