શંકરાચાર્યને ધરપકડનો ડર, હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો:કહ્યું, પ્રયાગરાજમાં IPS અજય પાલ કાવતરું ઘડી રહ્યા છે, આખું તંત્ર મારા વિરુદ્ધ છે
![]()
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે બાળ યૌનશોષણ કેસના સંદર્ભમાં મંગળવારે અલાહાબાદ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તેમને ડર છે કે પ્રયાગરાજ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. 21 ફેબ્રુઆરીએ FIR થયા પછી પ્રયાગરાજ પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવી દીધી હતી. ગઈકાલે સોમવારે પોલીસની એક ટીમ વારાણસી પહોંચી હતી. ટીમે સ્થાનિક પોલીસ પાસેથી શંકરાચાર્ય અને તેમના નજીકના સહયોગીઓ વિશે માહિતી એકત્રિત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ પોલીસ આજે શંકરાચાર્યના આશ્રમની મુલાકાત લઈને તેમની પૂછપરછ કરી શકે છે અને તેમની ધરપકડ પણ કરી શકે છે. આ વાતની ભીતીને જોતાં શંકરાચાર્યે તેમના વકીલ દ્વારા હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ દરમિયાન મંગળવારે શંકરાચાર્યે વારાણસીમાં એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી. તેમણે પ્રયાગરાજના એડિશનલ પોલીસ કમિશનર અજય પાલ શર્મા પર તેમના વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે અજય પાલ શર્મા અને આશુતોષ મહારાજનો મોબાઇલમાં ફોટો પણ બતાવ્યો હતો. એમાં અજય પાલ શર્મા કેક કાપતા જોવા મળે છે, જ્યારે આશુતોષ મહારાજ તેમની બાજુમાં ઊભા છે. શંકરાચાર્યએ કહ્યું, “તેમનું નામ અજય પાલ શર્મા છે. હાલમાં તેમની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. એક ઉચ્ચ પોલીસ અધિકારી હિસ્ટ્રીશીટર સાથે તેમનો જન્મદિવસ ઊજવી રહ્યા છે. મારા વિરુદ્ધ બધું જ આયોજનબદ્ધ કરાયું છે. ગાય સંરક્ષણ અભિયાનમાંથી મને પાછળ હટવા માટે દબાણ કરવા માટે આખી સિસ્ટમનો ઉપયોગ મારા વિરુદ્ધ કરવામાં આવ્યો છે, પરંતુ એ શક્ય નથી.”
Source link