સુરત: A-1 Dairy Foods પર SOG અને ફૂડ સેફ્ટી રેડમાં નકલી પનીર ઝડપ | સુરત
Last Updated:
ડેરીના માલિક તરીકે સત્યવીર તારાસિંહ ધાકરેનું નામ સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે, આરોપી પનીર પ્રતિ કિલો રૂ. 200ના દરે ખરીદી કરીને રૂ. 220માં વેચાણ કરતો હતો.
સુરત: શહેરમાં ફરી એકવાર ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચિંતાજનક ઘટના સામે આવી છે. પુણાગામ વિસ્તારમાં આવેલી A-1 Dairy Foods પર સુરત SOG ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવતા મોટા પ્રમાણમાં શંકાસ્પદ/નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહી સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 329 કિલો લૂઝ પનીર જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 65,800 જેટલી થાય છે.
ડેરીના માલિક તરીકે સત્યવીર તારાસિંહ ધાકરેનું નામ સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે, આરોપી પનીર પ્રતિ કિલો રૂ. 200ના દરે ખરીદી કરીને રૂ. 220માં વેચાણ કરતો હતો. રોજના 100 કિલો વેચાણનો ખુલાસો તપાસ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે કે, આ ડેરીમાંથી દરરોજ સરેરાશ 100 કિલો પનીરનું વેચાણ થતું હતું. આરોપી છેલ્લા અંદાજે અઢી વર્ષથી આ ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો. આ પનીર છૂટક વેચાણ ઉપરાંત સ્થાનિક ડેરીઓ અને કેટરર્સને પણ સપ્લાય કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે શહેરમાં મોટા પાયે લોકો સુધી આ શંકાસ્પદ પનીર પહોંચ્યું હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા પનીરના નમૂનાઓ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જો પનીર નકલી અથવા અખાદ્ય સાબિત થશે તો આરોપી સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નકલી અથવા ભેળસેળયુક્ત પનીર આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે, જેમાં ફૂડ પોઈઝનિંગ, પેટના રોગો અને અન્ય ચેપજન્ય બીમારીઓનો ભય રહે છે.
આ મામલે ડીસીપી રાજદીપ નકુમએ જણાવ્યું હતું કે, શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે સતત ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે. લોકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન સહન કરવામાં આવશે નહીં. પોલીસ અને ફૂડ વિભાગની સંયુક્ત કામગીરીથી આ ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો છે. આગળ પણ આવી કાર્યવાહી વધુ વિસ્તારોમાં કરવામાં આવશે તેવો સંકેત આપવામાં આવ્યો છે. શહેરવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે, શંકાસ્પદ ખાદ્ય પદાર્થ અંગે તરત જ ફૂડ વિભાગ અથવા પોલીસને જાણ કરે, જેથી સમયસર કાર્યવાહી શક્ય બને.
