સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના આગેવાનની રજૂઆત વાલેવડાની ઘટનામાં વિવાદિત 4 પોલીસકર્મીઓની બદલી!- after Thakor samaj leader geniben and aplesh thakor Demand 4 policemen Transfer who involved in Valevda Controversial incident | સુરેન્દ્રનગર
Last Updated:
સુરેન્દ્રનગર: વાલેવડાની વિવાદિત રેડ બાદ SP પ્રેમસુખ ડેલુએ PI વાય.જી.ઉપાધ્યાય સહિત 4 પોલીસકર્મીઓની બદલી કરી છે, ત્યારે ઠાકોર સમાજના આગેવાનો અને ગ્રામજનોએ વિરોધ બાદ આ નિર્યણ લેવાયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
સુરેન્દ્રનગર: દસાડાના વિવાદિત PI ઉપાધ્યાય સહિત 4 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ હોવાના મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. ગત 31 ડિસેમ્બરની રેઇડ બાદ આ વિવાદ સર્જાયો હતો અને બાદમાં આ મામલે ઠાકોર સમાજના આગેવાનોએ પણ યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠાવી હતી, ત્યારે આ માંગને ધ્યાને લઈને જિલ્લા SP પ્રેમસુખ ડેલુએ આ મોટો નિર્ણય લીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વિગતે વાત કરીએ તો, સુરેન્દ્રનગર દસાડાના વાલેવડા ગામે ચાલતા દારૂનું વેચાણ બંધ કરાવવા પોલીસ બુટલેગરો સામે એક્શન લેવા માટે જાગૃત ગ્રામજનો અને મહિલાઓએ પોલીસને રજૂઆત કરી હતી. જે બાદ ગત 31 ડિસેમ્બરના રોજ પોલીસે ગામમાં રેઇડ પાડી હતી અને આ રેડ દરમિયાન પીઆઈ વાય.જી.ઉપાધ્યાય સહિતના સ્ટાફે ગામના યુવકો સાથે રકઝક કરી હોવાનો આક્ષેપ ઉઠ્યા હતા.
વાલેવડાના ગ્રામજનોનો આક્ષેપ છે કે, જ્યારે પોલીસ તેમના ગામમાં રેડની કાર્યવાહી હાથ ધરી ત્યારે પોલીસે કુખ્યાત બુટલેગરને છાવરીને ફરિયાદી ગ્રામજનો સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી. આટલું જ નહીં, ઘટના સમયે દસાડા પોલીસના PI વાય.જી.ઉપાધ્યાયએ તો પોતાની સર્વિસ રિવોલ્વર કાઢીને લોકોને ધમકાવીને ત્યાંથી ભગાડી દીધા હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા અને આ મામલે બાદમાં ગ્રામજનોએ ઉગ્ર રોષ સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો.
બાદમાં આ મામલે તાજેતરમાં દસાડાના અંબાળા ગામે યોજાયેલ ઠાકોર સમાજના સંમેલનમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના આગેવાનોએ પણ જાહેર મંચ પર આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી સમગ્ર મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહીની માંગ કરી હતી, ત્યારે સમગ્ર પરિસ્થિતિને ધ્યાને લઈને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ વિવાદિત ચારેય પોલીસકર્મીઓની બદલી કરવાનો મોટો નિર્ણય લીધો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.
હાલની માહિતી મુજબ, દસાડાના વિવાદિત પી.આઈ. વાય.જી.ઉપાધ્યાયની સાયલા ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે સાયલા પીએસઆઈ ડી.ડી.ચુડાસમાની આણંદપુર તથા આણંદપુર પીએસઆઈ વી.આઈ.ખડિયાની દસાડા અને લીંબડી રીડર પીએસઆઈ એ.એમ. ચુડાસમાની ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.
Surendranagar,Gujarat
Feb 10, 2026 12:01 PM IST
