આયુષ ઓક સુરત ડુમ્મસ જમીન કેસમાં સસ્પેન્શન, રાજકીય દોરિસંચાર તપાસ | ગાંધીનગર


Last Updated:

પાંચમી વખત બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આગામી વર્ષ માટે 4.08 લાખ કરોડ રાખ્યું છે. એટલે કે બજેટ કરતાં જાહેર દેવાનો આંકડો વધી રહ્યો છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 50 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું છે.

અનેક પોલીસ અધિકારીઓને બદલીની રાહ
અનેક પોલીસ અધિકારીઓને બદલીની રાહ

આયુષ ઓકના સચિવાલયમાં આંટાફેરા વધ્યાં 

સુરતના ડુમ્મસની જમીનના કેસમાં સસ્પેન્ડ થયેલા ભૂતપૂર્વ કલેક્ટર આયુષ ઓકના સચિવાલયમાં આંટાફેરા વધી રહ્યાં છે. થોડાં સમય પહેલાં તેઓ સામાન્ય વહીવટ વિભાગમાં ઉચ્ચ અધિકારીને મળ્યા હતા અને સસ્પેન્શન રદ કરવા માટેની વિનંતી કરી હતી. પરંતુ આ કેસ રાજકીય હોવાથી તેમનો પનો ટૂંકો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. સુરતની બે હજાર કરોડની સરકારી જમીન ગણોતિયાને નામે કરી બિલ્ડરને પધરાવી દેવાના કેસમાં તેમની કથિત સંડોવણી બદલ રાજ્ય સરકારે પગલાં લઇને જૂન 2024માં તેમને સસ્પેન્ડ કર્યા હતા. આયુષ ઓકનું સસ્પેન્શન બે વર્ષ લાંબુ ચાલ્યું છે. આ કેસમાં રાજ્ય સરકારે એસઆઇટીની પણ રચના કરી હતી. તેમને સસ્પેન્ડ કર્યા ત્યારે તેઓ વલસાડના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. સુરત કલેક્ટરપદેથી બદલી થાય તેના બે દિવસ પહેલાં જ ગણોતિયાઓના નામ દાખલ કરી દેવામાં આવ્યા છે. કહેવાય છે કે, આ કેસમાં રાજકીય દોરીસંચાર હતો કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અંગત કારણોમાં સસ્પેન્ડ થયેલા આઇએએસ ગૌરવ દહિયાનું સસ્પેન્શન રદ કરી સરકારે 2023માં તેમને નોકરીમાં પાછા લઇ લીધા હતા.

અનેક પોલીસ અધિકારીઓને બદલીની રાહ

રાજ્યના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓ તેમની બદલીની રાહ જોઇ રહ્યાં છે. ખાસ કરીને લો એન્ડ ઓર્ડરમાં ફરજ બજાવતા રાજકુમાર પાંડિયનને હવે પોલીસ ભવનમાંથી બહાર નીકળવું છે. તેમને કોઇ શહેરમાં પોલીસ કમિશનર બનવાની ખેવના હોય તેવું લાગી રહ્યું છે. એવી જ રીતે એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડમાંથી અમિત વિશ્વકર્મા પણ બહાર નીકળવા માગે છે. આ બન્ને અધિકારીઓએ વિભાગને ભલામણ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર જવા માટે કેટલાક પોલીસ અધિકારીઓ અધિરા બન્યા છે પરંતુ કેન્દ્ર સરકારે બે આઇપીએસ રાજુ અસારી અને અશોક કુમારનું એમ્પેલમેન્ટ કર્યું હોવાથી નજીકના ભવિષ્યમાં આ બન્ને અધિકારી દિલ્હી ડેપ્યુટેશન પર જાય તેવી સંભાવના છે. દિલ્હી સીબીઆઇમાં હજી ગુજરાત કેડરના બે થી ત્રણ અધિકારીઓ ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે.

“લગ્ન પવિત્ર છે, શૂન્ય સમાધાન, કડક કાર્યવાહી”

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લગ્ન નોંધણીના નિયમો સુધારવા અંગેનો એક અધિનિયમ જાહેર કરતાં તેના સાનુકૂળ પ્રત્યાઘાત જોવા મળે છે. ભાગીને પ્રેમલગ્ન કરનારા કપલે માતા-પિતાની વિગતો સાથે તેમને જાણ કરી છે કે નહીં તેનું ડેક્લેરેશન આપવું પડશે. અલબત્ત, લગ્ન કર્યાના 10 દિવસમાં રજીસ્ટ્રાર દ્વારા માતા-પિતાને સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. લવ જેહાદના કેસો નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે આ સુધારો કરતાં હર્ષ સંઘવીના એક્સ હેન્ડલ ઉપર અભિનંદનની વર્ષા થઇ છે. કેટલાકે લખ્યું છે કે ગુડ સ્ટેપ, આ સુધારાની આવશ્યકતા હતી. એક યુઝરે લખ્યું છે કે ભગવાન એક દિવસ તમને મુખ્યમંત્રી બનાવશે. અન્ય એક યુઝર લખે છે કે લવ જેહાદ આખા ભારતમાં છે તેથી કેન્દ્ર સરકારે પણ આવું કોઇ એક્શન લેવું જોઇએ. હર્ષ સંઘવીએ એક્સ હેન્ડલ પર લખ્યું હતું કે “કોઇને પણ પોતાની ઓળખ છુપાવી કે બનાવટી બનાવીને લગ્ન નોંધણીનો દુરુપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. લગ્ન પવિત્ર છે. છેતરપિંડી સહન કરવામાં આવશે નહીં. શૂન્ય સમાધાન, કડક કાર્યવાહી.” આ પહેલાં તેમણે લગ્ન નોંધણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા રાજ્ય સરકારે કરેલા મહત્વપૂર્ણ સુધારા અંગે પોસ્ટ મૂકી હતી, તેમાં પણ યુઝર્સે નાયબ મુખ્યમંત્રીને ધન્યવાદ આપ્યાં છે.

સુરત મ્યુનિસિપલ કમિશનરના નામ અને ફોટાનો ઠગે કર્યો દુરુપયોગ

સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે થોડાં સમય પહેલાં જ નિયુક્ત થયેલા એમ નાગરાજનના નામ અને ફોટાનો ઉપયોગ કરીને કોઇ ઠગ મહાશયે નકલી વોટ્સઅપ એકાઉન્ટ બનાવ્યું છે. તેમના આ એકાઉન્ટનો નંબર વિયેતનામમાં રજીસ્ટર્ડ થયેલો બતાવવામાં આવે છે પરંતુ આ કારીગરી ભારતમાં જ કોઇએ કરી છે. તેમના તરફથી લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. બોગસ એકાઉન્ટનો ભોગ માત્ર નોકરીમાં ચાલુ હોય તેવા અધિકારીઓ જ બનતા નથી પરંતુ નિવૃત્ત થઇ ગયેલા આઇએએસ અધિકારીઓ પણ બને છે. સામાન્ય વહીવટ વિભાગમાંથી નિવૃત્ત થયેલા કમલ દાયાણીના સોશ્યલ મિડીયાને હેક કરી કોઇ ઠગે રૂપિયા માગ્યા હતા. આ કેસમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નાગરાજન માટે તો નંબર આપી એવી અપીલ કરવામાં આવી છે કે આ નંબર પરથી કમિશનરના નામથી કોલ આવે કે મેસેજ આવે તો તેને ધ્યાને લેવો નહીં અને આ નંબર તાત્કાલીક બ્લોક કરી દેવા વિનંતી છે.

 જેપી ગુપ્તા સચિવાલયમાં કોને મળ્યાં?

ગુજરાત સરકારમાંથી ગયા વર્ષે વયનિવૃત્ત થયેલા ચાર અધિકારીઓ પૈકી એકમાત્ર પૂર્વ મુખ્યસચિવ પંકજ જોષીને સરકારે ગુજરાત વીજ નિયમન પંચના અધ્યક્ષપદે નિયુક્ત કર્યા છે, જ્યારે તેમના પહેલાં જુલાઇમાં નિવૃત્ત થયેલા કમલ દાયાણી અને જેપી ગુપ્તાનું હજી ઠેકાણું પડ્યું નથી. એટલું જ નહીં, ગયા જાન્યુઆરીમાં નિવૃત્ત થયેલા અને રાજ્યના પૂર્વ મુખ્યસચિવ રાજકુમારનું પણ કોઇ જગ્યાએ પોસ્ટીંગ થયું નથી. તાજેતરમાં જેપી ગુપ્તાએ સચિવાલય અને વિધાનસભાની મુલાકાત પણ લીધી હતી. જો કે તેઓ કોને મળ્યા હતા તે બાબત છૂપી છે પરંતુ કોઇએ તેમને રિએપોઇન્ટમેન્ટ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે હજી સુધી કોઇ રિસ્પોન્સ મળ્યો નથી. બીજીતરફ રાજકુમાર લાંબી રાહ જોયા પછી સ્ટોરી રાઇટર બની ગયા છે. તેઓ લિંક્ડ્ ઇનમાં ગુડ ગવર્નન્સ અને વહીવટી વિભાગોની ડેવલપમેન્ટ સ્ટોરીઓ લખી રહ્યાં છે. કહેવાય છે કે ગુજરાતમાં નિવૃત્ત થયેલા કોઇપણ આઇએએસ અધિકારી નવરા બેસતા હોતા નથી. ઘણાં ઓફિસરો નિવૃત્તિ પછી કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરી રહ્યાં છે અથવા તો કન્સલ્ટન્સી ખોલી નાંખી છે.

આઇપીએસ અધિકારી શમશેરસિંઘને કેમ નથી મળ્યું કોઈ પોસ્ટિંગ?

રાજ્યના ગૃહ વિભાગમાં એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, રાજ્યના આઇપીએસ અધિકારીઓ 31મી માર્ચ સુધી વેઇટીંગ ફોર પોસ્ટીંગમાં જ રહેશે. જેમના પ્રમોશન થયાં છે તેઓને હજી ઘણી રાહ જોવી પડે તેમ લાગી રહ્યું છે. ખાસ કરીને 2011 અને 2012ની બેચના એક ડઝન કરતાં વધુ આઇએએસ અધિકારીઓને પ્રમોશન પછી લાંબા સમયથી પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી, જે પૈકી 2012ના અધિકારીઓનું પોસ્ટીંગ તો ચાલુ છે પણ ડીઆઇજી તરીકેનું પોસ્ટીંગ બાકી રહ્યું છે. બીજીતરફ સેન્ટ્રલ ડેપ્યુટેશન પરથી પાછા આવેલા સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારી શમશેરસિંઘને લાંબા સમયથી પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી પરંતુ ચર્ચાઇ રહ્યું છે કે તેઓને હોમગાર્ડ્સમાં પોસ્ટીંગ મળવાના ચાન્સીસ છે તેથી ડીજી તરીકે નિવૃત્ત થશે. એવી પણ અટકળો ચાલતી હતી કે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી કેએલએન રાવની જગ્યાએ તેમનું પોસ્ટીંગ થશે પરંતુ નિવૃત્તિનો સમય નજીક હોવાથી તેમને રાજ્યના પોલીસ વડા બનાવી શકાય તેમ નથી. હાલ ઇન્ચાર્જ ડીજીપીએ તો ફુલટાઇમ કામ કરતા હોય તેમ ગૃહ વિભાગને ધમધમતું કરી દીધું છે. તાજેતરમાં જ તેમણે સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લઇને સલામતી વ્યવસ્થા ચકાસી હતી.

શિક્ષકોની સ્કૂલમાં ગેરહાજરીને કારણે વિદ્યાર્થીના પરિણામ પર થશે અસર

વારંવાર સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોને ડ્યુટી બજાવવામાં આવતા વિવિધ સંગઠનો અને મંડળોએ વિરોધ કરતાં શિક્ષણ વિભાગને કેટલાક કાર્યક્રમોમાં શિક્ષકોને નિયુક્ત કરવાની પ્રક્રિયા રદ કરવી પડી છે. ખાસ કરીને શિક્ષકોને ખાસ કિસ્સા સિવાય બિનશૈક્ષણિક જવાબદારીઓ સોંપવામાં આવશે નહીં. એક સર્વેક્ષણમાં એવું સામે આવ્યું છે કે શિક્ષકોને અન્ય કામમાં લઇ જવામાં આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ અને પરિણામ ઉપર ગંભીર અસર પડી છે. કેટલીક સ્કૂલોમાં નેગેટીવ પરિણામો જોવા મળ્યા છે. હવે મોડે મોડે સમજાયું છે કે શિક્ષણ માટે ન્યૂનતમ કલાકો ફરજિયાત કરાશે. પ્રાથમિક શિક્ષણમાં 800 કલાક અને માધ્યમિક શિક્ષણમાં 1000 કલાકનું શિક્ષણ આપવું પડશે. નવા શૈક્ષણિક સત્રથી શિક્ષકોને તબક્કાવાર અન્ય કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવશે. જો કે એપ્રિલ મહિનાથી શરૂ થનારા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીઓમાં શિક્ષકોનો ઉપયોગ થશે કે કેમ તે હજી નિશ્ચિત નથી. તપાસ કરતાં એવું જોવામાં આવ્યું છે કે શિક્ષણ વિભાગમાં શિક્ષકોને ચૂંટણી, સ્વચ્છતા ઝૂંબેશ, વસતી ગણતરી, મતદાર યાદી સુધારણા સહિત 100થી વધુ અન્ય પ્રકારની જવાબદારી સોંપાય છે પરંતુ તેમાં હવે ઘટાડો કરવાની વિચારણા ચાલી રહી છે. થોડાં સમય પહેલાં કુતરાંની ગણતરીનો આદેશ બહાર પાડતાં શિક્ષકો ભડક્યા હતા.

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 50 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું

ગુજરાતમાં હાલ સરકારનું બજેટ સત્ર ચાલી રહ્યું છે પરંતુ જાણીને આશ્ચર્ય થશે કે રાજ્યનું પહેલું બજેટ 22મી ઓગષ્ટ 1960ના રોજ રજૂ કરવામાં આવ્યું ત્યારે તેનું કદ માત્ર 115 કરોડનું હતું, જ્યારે આજે 66 વર્ષ પછી ગુજરાતના બજેટનું કદ 4.8 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. રાજ્યમાં સૌથી વધુ 18 બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપ શાસિત સરકારમાં તત્કાલિન નાણામંત્રી વજુભાઇ વાળાનો રહ્યો છે. તેમનો રેકોર્ડ કોઇ તોડી શક્યું નથી અને તોડશે પણ નહીં. બીજાક્રમે નીતિન પટેલે નવ વખત બજેટ રજૂ કર્યું છે. બીજી મહત્વની બાબત એવી જોવા મળી છે કે છેલ્લા 15 વર્ષમાં જ્યારે બજેટ રજૂ થાય છે ત્યારે પ્રકાશનમાં જાહેર દેવાનો ઉલ્લેખ આવે છે અને તેની રકમ બજેટ કરતાં પણ વધી જાય છે. ગુજરાત સરકારનું જાહેર દેવું 4.87 લાખ કરોડ સુધી પહોંચવાની તૈયારી છે ત્યારે પાંચમી વખત બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આગામી વર્ષ માટે 4.08 લાખ કરોડ રાખ્યું છે. એટલે કે બજેટ કરતાં જાહેર દેવાનો આંકડો વધી રહ્યો છે. ચોંકાવનારી બાબત એવી છે કે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં દેવાં પેટે 50 હજાર કરોડ વ્યાજ ચૂકવ્યું છે.

ગુજરાતમાં પ્રતિ બે વ્યક્તિએ એક વાહન

વાહનોના પ્રદૂષણ અને ટ્રાફિક ભારણથી ભરચક બનેલા રાજ્યના મોટાભાગના નાના-મોટા શહેરોમાં હવે જો વધુ વાહનોની નોંધણી થશે તો માર્ગો ઉપર જગ્યા રહેશે નહીં તેવી દહેશત પર્યાવરણવાદીઓ કરી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે ખાનગી પરિવહન પોલિસીનો વિચાર કરવો જોઇએ. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે હાલની સ્થિતિએ રાજ્યની સડકો પર રાજ્યમાં નોંધાયેલા હોય તેવાં 3.45 કરોડ વાહનો ફરી રહ્યાં છે, જે આંકડો ત્રણ વર્ષ પહેલાં ત્રણ કરોડની અંદર હતો. રાજ્યની વસતી 6.50 કરોડ અંદાજવામાં આવે તો વસતીના લગભગ અડધો અડધ વાહનો જોવા મળે છે. એટલે કે પ્રતિ બે વ્યક્તિએ એક વાહન છે. આશ્ચર્ય સાથે કુલ વાહનોની સંખ્યામાં 2.47 કરોડ તો દ્વિચક્રી વાહનો જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે રાજ્ય સરકારે પાંચ વર્ષ પહેલાં ઇવી પોલિસી જ્યારે જાહેર કરી ત્યારે એવો ટારગેટ રાખ્યો હતો કે પાંચ વર્ષમાં 70 ટકાથી વધુ ઇવી વાહનો હશે પરંતુ કમનસીબે હજી સુધી જીએમડીસી સિવાય સરકારી વિભાગો કે બોર્ડ-નિગમમાં પેટ્રોલ, ડિઝલ અને સીએનજી સંચાલિત વાહનો જોવા મળે છે. રાજ્યના અમદાવાદ અને સુરત જેવી શહેરી સંસ્થાએ વાહન ખરીદવું હોય તો પહેલાં પાર્કિંગ બતાવવું પડશે તેવી પોલિસી જાહેર કરી હતી પરંતુ તેનું પાલન હજી સુધી થઇ શક્યું નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *