ગાંધીનગર: ટાઈફોઈડના કેસ વધતા તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધીમાં કુલ 113 કેસ નોંધાયા-Total 113 typhoid cases in Gandhinagar system in emergency mode | ગાંધીનગર


Last Updated:

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે.. અત્યાર સુધીમાં કુલ 113 જેટલા કેસ નોંધાયા છે. જેને લઈને હવે યુદ્ધના ધોરણે આ રોગચાળાને ખતમ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ટાઈફોઈડના કેસ વધતા તંત્ર એક્શનમાં
ટાઈફોઈડના કેસ વધતા તંત્ર એક્શનમાં

ગાંધીનગર: સેકટર 24, 28 અને આદિવાડા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજના થવાના કારણે દૂષિત પાણીથી બાળકો અને નાગરિકોમાં ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે. જે અંગે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા કલેકટરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી સાથે સતત સંપર્કમાં રહી, ચર્ચા કરી વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવી પ્રવર્તમાન પરિસ્થિતિ સામે યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે.

અમિત શાહે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટાઇફોઇડથી અસરગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાંત તબીબો દ્વારા ઝડપી અને સચોટ સારવાર મળી રહે તે માટેના આદેશ આપ્યા છે તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પીડિત દર્દીઓ અને સગાઓ માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવા અંગે સૂચના આપી છે. શાહે લીકેજના તાત્કાલિક સમારકામ અને આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફેલાવો વધુ ન થાય તે માટે આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની સઘન ચકાસણીના આદેશ આપ્યા છે.

ગાંધીનગર શહેરમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસો અંગે સઘન આરોગ્ય વ્યવસ્થા અને સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારોમાંથી આ શંકાસ્પદ કેસો મળી આવ્યા છે તે સેક્ટર 24, 26, 28 તથા આદિવાડામાં 75 હેલ્થ ટીમો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે.

આ શંકાસ્પદ ટાઈફોઈડના 113 કેસો અત્યાર સુધીમાં મળી આવ્યા છે અને સારવારગ્રસ્ત દર્દીઓમાંથી 19 ને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. અન્ય 94 દર્દીઓને ગાંધીનગર સિવિલ તેમજ સેક્ટર 24 અને 29ના UHCમાં સારવાર અપાઈ રહી છે અને આ દર્દીઓની હાલત સ્થિર છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં 27×7 ઓપીડી શરૂ કરવામાં આવી છે. જે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાય છે તેમના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા અત્યાર સુધીમાં 20,800 થી વધુ ઘરોમાં સર્વે કરીને 90 હજારથી વધુ વસ્તીને આવરી લીધી છે. રોગ અટકાયતના પગલાં તરીકે 30000 ક્લોરિન ટેબલેટ અને 20,600 ORS પેકેટ વિતરણ કરાયા છે.

સર્વેક્ષણ ટીમો ઘરે-ઘરે સંપર્ક કરીને જાગૃતિ પત્રિકાઓ વિતરણ કરવા સાથે લોકોને પાણી ઉકાળીને જ પીવાની, બહારના ખોરાક ન ખાવાની તેમ જ હાથ સ્વચ્છ રાખવા સહિતની માહિતી પૂરી પાડે છે. રોગચાળાના નિયંત્રણ માટે પાણીના સુપર ક્લોરીનેશનની કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા પણ તપાસવામાં આવે છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા સોમવાર સુધીમાં 24*7 પાણી સપ્લાયના સ્વિચઓવરની કામગીરી હાથ ધરાશે. આના પરિણામે છેવાડાના ઘરો સુધી ક્લોરિનની યોગ્ય માત્રાવાળું પાણી પહોંચાડી શકાશે. રોગ અસરગ્રસ્ત વિસ્તારોમાં જે નાના મોટા લીકેજ મળી આવ્યા છે તેનું રિપેરિંગ પણ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ રોગચાળાને લઈને મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં પાણીપુરી, રગડા પેટીસ, બરફ ગોળા, શિકંજી સોડા તથા દૂધની બનાવટના પીણાઓના વેચાણની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *