Bangladesh T20 World Cup 2026 Venue Controversy; BCB ICC BCCI | Mustafizur Rahman IPL | બાંગ્લાદેશે ફરી ભારતમાંથી મેચ શિફ્ટ કરવા કહ્યું: 5 દિવસમાં ICCને બીજો પત્ર લખ્યો; મુસ્તફિઝુરને IPLમાંથી હટાવવા પર વિવાદ
2 કલાક પેહલા
- કૉપી લિંક

મુસ્તફિઝુર રહેમાન છેલ્લે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. તેને 2025ના મિની-ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઇડર્સે ખરીદ્યો હતો.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને 5 દિવસમાં બીજો પત્ર મોકલીને T20 વર્લ્ડ કપની પોતાની મેચ ભારતને બદલે શ્રીલંકામાં કરાવવાની માગ કરી છે. બોર્ડે આ પાછળ સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણભૂત ગણાવી છે. આ પહેલા 4 જાન્યુઆરીએ પહેલીવાર ICCને વર્લ્ડ કપ મેચના સ્થળ બદલવા માટે અપીલ કરવામાં આવી હતી.
T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. બાંગ્લાદેશને ગ્રુપ લીગમાં કુલ ચાર મેચ રમવાની છે, જેમાંથી ત્રણ મેચ કોલકાતા અને એક મેચ મુંબઈમાં નક્કી છે. પરંતુ બાંગ્લાદેશ ટીમે અત્યાર સુધી ભારત જવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે ટુર્નામેન્ટ શરૂ થવાના થોડા અઠવાડિયા પહેલા જ તેમની ભાગીદારી પર સવાલો ઉભા થયા છે.
બાંગ્લાદેશ સરકારની કડક ભૂમિકા રિપોર્ટ્સ અનુસાર, આ નવો લેટર રમતગમત મંત્રાલયના સલાહકાર આસિફ નઝરુલ સાથે ચર્ચા કર્યા પછી મોકલવામાં આવ્યો છે. નઝરુલ આ મુદ્દે કડક વલણ અપનાવી રહ્યા છે. એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું કે, ‘ICC એ સુરક્ષા સંબંધિત ચિંતાઓની સંપૂર્ણ વિગત માગી હતી, જેને BCBએ વિગતવાર શેર કરી છે.’ જોકે, આ ચિંતાઓનો જાહેરમાં ખુલાસો કરવામાં આવ્યો નથી.
આખો વિવાદ શું છે? 16 ડિસેમ્બરે IPL મિની ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાને કારણે ભારતમાં મુસ્તફિઝુરનો વિરોધ થવા લાગ્યો. અત્યાર સુધી ત્યાં 6 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. બાદમાં BCCIએ મુસ્તફિઝુરને IPL રમવાની મંજૂરી આપી ન હતી અને 3 જાન્યુઆરીએ KKRએ તેને રિલીઝ કરી દીધો હતો.

બાંગ્લાદેશે IPL પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો KKRએ મુસ્તફિઝુરને રિલીઝ કર્યા પછી, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ત્યાંની સરકારે IPLના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો. સાથે જ ભારતમાં વર્લ્ડ કપ મેચ રમવાનો પણ ઇનકાર કર્યો હતો અને ICCને સ્થળ બદલવા માટે ઈ-મેલ મોકલ્યો હતો.

ICCએ સ્પષ્ટ માહિતી માગી ICCએ અત્યાર સુધી આ મુદ્દે કોઈ સાર્વજનિક નિવેદન આપ્યું નથી, પરંતુ તેણે BCBને સ્પષ્ટ કરવા કહ્યું છે કે સુરક્ષાને લઈને વાસ્તવિક ચિંતા શું છે.
બીજી તરફ, BCBની અંદર પણ મતભેદો સામે આવી રહ્યા છે. એક જૂથ આસિફ નઝરુલના કડક વલણને સમર્થન આપી રહ્યું છે. બીજું જૂથ ICC અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) સાથે વાતચીત ચાલુ રાખવાના પક્ષમાં છે. તેમનું માનવું છે કે જો મજબૂત અને વધુ સારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તો સમસ્યાનો ઉકેલ આવી શકે છે.
ગ્રુપ-Cમાં છે બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને ગ્રુપ-Cમાં રાખવામાં આવ્યું છે. ટીમ 7 ફેબ્રુઆરીએ વેસ્ટ ઈન્ડિઝ, 9 ફેબ્રુઆરીએ ઈટાલી અને 14 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ત્રણેય મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે. જ્યારે ટીમની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 17 ફેબ્રુઆરીએ મુંબઈમાં નેપાળ સામે થશે.