ગુજરાતમાં અપમાનજનક ગામ અને શેરીના નામ બદલવા રાજ્ય સરકારનો આદેશ | ગાંધીનગર
Last Updated:
પરિપત્રના પગલે જિલ્લાઓમાં સરપંચો અને તલાટીઓને તાત્કાલિક અસરથી આવા અપમાનજનક નામો ઓળખી બદલવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યભરના ગામો, વસાહતો અને શેરીઓમાં હજુ પણ ઉપયોગમાં રહેલા જાતિસૂચક તથા અપમાનજનક નામોને તાત્કાલિક બદલવા માટે રાજ્ય સરકારે કડક આદેશ જાહેર કર્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં થયેલી ફરિયાદને ધ્યાને લઈ તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને આવા નામોમાં ફેરફાર કરી તાત્કાલિક અહેવાલ મોકલવા સૂચના આપવામાં આવી છે.
આ આદેશ અંતર્ગત દરેક જિલ્લામાં સરપંચો અને તલાટીઓને તેમના ગામમાં આવેલી વસાહત, શેરી કે ફળિયાના જાતિસૂચક નામ બદલીને દલિત મહાપુરુષો જેવા કે ડૉ. બાબાસાહેબ આંબેડકર, ગૌતમ બુદ્ધ સહિતના સન્માનજનક નામો અપનાવવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સહિત દેશના અનેક ભાગોમાં આજેય ગામો તથા શહેરી વિસ્તારોમાં અપમાનજનક શબ્દોવાળા સાઇનબોર્ડ જોવા મળે છે. ગુજરાતના એક અરજદારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી કે આઝાદીના 75 વર્ષ બાદ પણ અનુસૂચિત જાતિ-જનજાતિના નાગરિકોનું અપમાન થાય એવા ગેરબંધારણીય નામો જાહેર સ્થળોએ યથાવત્ છે, જે બંધારણીય મૂલ્યોના વિરુદ્ધ છે.
આ ફરિયાદમાં માંગ કરવામાં આવી હતી કે, આવા તમામ સાઇનબોર્ડ દૂર કરી તેના સ્થાને ગૌતમબુદ્ધનગર, આંબેડકરનગર જેવા સન્માનજનક અને સમતામૂલક નામો મૂકવામાં આવે. આયોગે આ મુદ્દાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવા સૂચવ્યું હતું.
આ બાદ રાજ્યના ગૃહ નિર્માણ અને વિકાસ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી તલાટી, મામલતદાર અને જિલ્લા વિકાસ અધિકારીઓને સર્વે કરીને નામ બદલવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ કરાયો છે. તમામ અધિકારીઓ પાસેથી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ પણ માંગવામાં આવ્યો છે.
પરિપત્રના પગલે જિલ્લાઓમાં સરપંચો અને તલાટીઓને તાત્કાલિક અસરથી આવા અપમાનજનક નામો ઓળખી બદલવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, સામાજિક સમાનતા અને માનવીય ગૌરવ જળવાઈ રહે તે માટે આ પગલું અત્યંત જરૂરી છે.
Gandhinagar,Gujarat
