લિંબાયત સુરતમાં ઇસરત ખાતુન દ્વારા પતિ હૈદરઅલીની હત્યા કેસમાં ચકચાર | સુરત
Last Updated:
સુરતમાં મૃતકના ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પતિના અવસાન બાદ લાશને અંતિમ સંસ્કાર માટે બિહાર લઈ જવાની વાત થઈ હતી, પરંતુ પત્નીએ અંતિમ ક્રિયા સુરતમાં જ કરવાની આગ્રહપૂર્વક માંગણી કરી.
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાંથી એક હચમચાવી દેનારો હત્યાનો કેસ સામે આવ્યો છે. પ્રાથમિક તપાસમાં પત્નીએ પોતાના પતિની હત્યા કર્યાનો આરોપ સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. લિંબાયત પોલીસે આરોપી પત્ની ઇસરત ખાતુનની ધરપકડ કરી છે, જ્યારે મૃતક પતિનું નામ હૈદરઅલી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી પત્નીએ પતિને હળદરવાળું દૂધ પીવડાવ્યું હતું, જેમાં ઉંદર મારવાની ઝેરી દવા મિશ્રિત હતી. દૂધ પીધા બાદ પતિની તબિયત અચાનક બગડી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું. શરૂઆતમાં ઘટનાને સામાન્ય મૃત્યુ તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હતો, પરંતુ પરિવારજનોની શંકા બાદ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો.

મૃતકના ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પતિના અવસાન બાદ લાશને અંતિમ સંસ્કાર માટે બિહાર લઈ જવાની વાત થઈ હતી, પરંતુ પત્નીએ અંતિમ ક્રિયા સુરતમાં જ કરવાની આગ્રહપૂર્વક માંગણી કરી. આ મુદ્દે થયેલી તકરાર અને અન્ય શંકાસ્પદ પરિસ્થિતિઓને કારણે મૃતકના ભાઈને સંદેહ જાગ્યો અને પોલીસને જાણ કરવામાં આવી. ત્યારબાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો.
લાંબા સમયથી થતી યાતના પોલીસ સમક્ષ આપેલી રજૂઆતમાં આરોપી પત્નીએ જણાવ્યું કે, પતિ દ્વારા તેને લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેણીનું કહેવું છે કે, ઘરમાં વારંવાર મારઝૂડ થતી હતી અને તેના પર અસહ્ય વર્તન કરવામાં આવતું હતું. આ યાતનાઓ સહનશક્તિ બહાર જતા તેણે પહેલા પતિનું ગળું દબાવી અને છાતી પર બેસી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં ઝેરી દવા આપી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ દાવાઓ અને નિવેદનોની કાનૂની રીતે તપાસ ચાલી રહી છે. આરોપો અંગે અંતિમ નિષ્કર્ષ પુરાવા, ફોરેન્સિક રિપોર્ટ અને સાક્ષીઓના આધારે આવશે. તપાસ દરમિયાન આરોપીએ ઘટનાસ્થળ પર જઈને ઘટનાક્રમ દર્શાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક તપાસમાં ઝેરી પદાર્થના અંશ મળતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. કેસમાં અન્ય પુરાવાઓ એકત્રિત કરી તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ મામલે એન. કે. કામળિયા, પીઆઈ, લિંબાયત પોલીસ મથક, સુરતે જણાવ્યું છે કે, “પરિવારજનની ફરિયાદ, પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. કેસના તમામ પાસાંની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે.” આ ઘટના ઘરેલુ હિંસા અને પારિવારિક વિવાદોના ગંભીર પરિણામો તરફ ઈશારો કરે છે. કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે, આવા કેસોમાં સમયસર મદદ અને સલાહ લેવામાં આવે તો દુર્ઘટનાઓ અટકાવી શકાય.
