પ્લેન ક્રેશ વખતે અજિતનાં માતા ટીવી જોઈ રહ્યાં હતાં:મોતના સમાચાર ન આવે એટલે સ્ટાફે કેબલ કાપી નાખ્યો, કેબિન ક્રૂ પિંકીનો પિતાને એ છેલ્લો ફોન




બુધવારની એ સવાર મહારાષ્ટ્રના રાજકારણ અને ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવાર માટે કાળ સમાન સાબિત થઈ. બારામતીમાં પર થયેલા ભયાનક પ્લેન ક્રેશમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આ અકસ્માત પાછળ એવી બે કરુણ વાર્તાઓ છુપાયેલી છે જે કોઈ પણ પથ્થર દિલ માણસને રડાવી દે. એક તરફ બારામતીના ફાર્મહાઉસમાં અજિત પવારની માતા આશાતાઈથી તેમના પુત્રના મોતના સમાચાર છુપાવવા માટે ટીવીના કેબલ કાપી નાખવામાં આવ્યા અને ફોન છીનવી લેવાયા, છતાં માતૃત્વની શક્તિ એવી હતી કે તેમને અણસાર આવી ગયો હતો કે ‘દાદા’ મુસીબતમાં છે. બીજી તરફ, યુપીના જૌનપુરની દીકરી અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલીએ દુર્ઘટનાના કલાકો પહેલા જ તેના પિતાને ખુશીથી કહ્યું હતું કે, “પપ્પા, આજે અજિત પવાર સાથે ફ્લાઇટ છે… તમારી વાત કરાવીશ.” પિતાને ક્યાં ખબર હતી કે દીકરીનો આ અવાજ તે છેલ્લી વાર સાંભળી રહ્યા છે. આ અકસ્માતે માત્ર એક કદાવર નેતા જ નથી છીનવ્યો, પરંતુ એક દીકરીના સપના અને બે પરિવારોની દુનિયા પણ વેરવિખેર કરી નાખી છે. જ્યાં અજિત પવાર 4 દિવસ પહેલા જ માતા સાથે વૃક્ષો વાવવાની વાતો કરી ગયા હતા, ત્યાં પિંકીનો રોજેરોજ આવતો “મમ્મી, દવા ખાઈ લેજો” વાળો ફોન હવે કાયમ માટે શાંત થઈ ગયો છે. હવે વિગતવાર વાંચીએ બંને ઘટના વિશે…. ઘટના 1ઃ મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારનું નિધન થયું છે. બુધવારે સવારે 8.45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા. જે સમયે દુર્ઘટના થઈ, તેમની માતા આશા બારામતીના ફાર્મહાઉસમાં ટીવી જોઈ રહી હતી. ફાર્મહાઉસના મેનેજર સંપત ધાયગુડેએ જણાવ્યું કે આશા તાઈએ પૂછ્યું- શું દાદાનો અકસ્માત થયો છે? પુત્રના મૃત્યુના સમાચાર માતાને ન મળે તે માટે અમે લોકોએ બંગલાનો ટીવી કેબલ તરત જ કાપી નાખ્યો. તેમનો મોબાઇલ ફોન પણ ફ્લાઇટ મોડ પર મૂકી દીધો. અમે તેમને કહી રહ્યા હતા કે કંઈ થયું નથી. જીદ કરીને પુત્રને જોવા ગયેલાં માતા આશા મેનેજર સંપતે જણાવ્યું, “માતાજીને એવું પણ લાગ્યું કે તેમને સામાન્ય ઈજા થઈ હશે. ત્યારે ટીવી પર સમાચાર આવ્યા કે દાદાને બારામતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમે આશાતાઈને કહી રહ્યા હતા કે કંઈ થયું નથી. પરંતુ તેઓ પહેલાથી જ ફાર્મહાઉસની બહાર ચાલવા લાગ્યા અને કહી રહ્યા હતા કે તેમને દાદાને મળવું જોઈએ. તેમણે કોઈની વાત સાંભળી નહીં. આખરે, અમે અનિચ્છાએ તેમને બારામતીના બંગલા સુધી લઈ ગયા.” 4 દિવસ પહેલાં માતાને મળવા ફાર્મ હાઉસ આવ્યા હતા અજિત મેનેજર સંપતને જણાવ્યું કે 4 દિવસ પહેલા અજિત દાદા પોતાની માતાને મળવા પોતાના ફાર્મ હાઉસ આવ્યા હતા. શનિવારે સવારે 7:30 વાગ્યે તેઓ ફાર્મ હાઉસ પહોંચ્યા. તેમણે પોતાની માતા સાથે લગભગ 15 મિનિટ સુધી વાતચીત કરી.
ત્યારબાદ તેમણે ફાર્મના તમામ મજૂરોને નિર્દેશ આપ્યા. તેમણે કર્મચારીઓને નવા વૃક્ષો વાવવાનું પણ કહ્યું હતું. વાતચીત પછી તેઓ આગલા કાર્યક્રમ માટે રવાના થઈ ગયા. ઘટના 2ઃ “પપ્પા, આજે અજિત પવાર સાથે ફ્લાઇટ છે… તમારી વાત કરાવીશ.” યુપીની પિંકી માલીએ મંગળવારે તેના પિતા શિવ કુમારને આ કહ્યું હતું. પિતાને ખબર ન હતી કે દીકરીની આ વાત તેમની છેલ્લી વાતચીત હશે. બીજા જ દિવસે બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે થયેલા પ્લેન ક્રેશમાં પિંકીનું પણ મૃત્યુ થયું. પિંકી માલી તે ચાર્ટર્ડ વિમાનમાં કેબિન ક્રૂ હતી, જે બારામતીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 5 લોકોના જીવ ગયા. પિંકીના પિતા શિવ કુમારે જણાવ્યું, મેં દીકરી સાથે એક દિવસ પહેલા છેલ્લી વાર વાત કરી હતી. તે તે સમયે ખૂબ ખુશ હતી. મને શું ખબર હતી કે આ જ અમારી છેલ્લી વાતચીત હશે. પિંકી માલી મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશના જૌનપુરની રહેવાસી હતી. તેના પિતા શિવ કુમાર માલી મુંબઈમાં ટેક્સી ચલાવે છે અને શિવસેના સાથે પણ જોડાયેલા છે. દીકરીના મૃત્યુના સમાચાર પછી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પિંકીએ સવારે ભાઈ સાથે ફોન પર વાત કરી હતી જૌનપુરમાં પિંકીનું ઘર જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર, કેરાકત તાલુકાના ભેંસા ગામમાં છે. પિંકીના ભાઈ કરણે જણાવ્યું કે સવારે ફોન પર પિંકીએ કહ્યું હતું કે તે બારામતીથી નાંદેડ જઈ રહી છે. ત્યારબાદ તેનો કોઈ મેસેજ કે કોલ આવ્યો નથી. ગામના રહેવાસી અશોક સિંહે જણાવ્યું કે પિંકીના પિતાને ગામ સાથે ઊંડો લગાવ હતો. તેઓ દર વર્ષે ગામમાં દુર્ગા પૂજા કરાવતા હતા અને બે મહિના પહેલા પણ ગામ આવ્યા હતા. પિંકીના પરિવારમાં એક ભાઈ કરણ અને એક બહેન પ્રીતિ છે. 29 વર્ષની પિંકી મુંબઈના વરલીના સેન્ચ્યુરી ક્વાર્ટર વિસ્તારમાં રહેતી હતી. માતા ધ્રુસકે ધ્રુસકે રડ્યા, કહ્યું- મન ગભરાઈ રહ્યું હતું દીકરીના મોતની ખબર સાંભળતા જ મુંબઈમાં રહેતી પિંકીની માતા માયા માલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. તેમણે કહ્યું કે તે દિવસે તેમનું મન ખૂબ ગભરાઈ રહ્યું હતું. તેમને અંદરથી લાગી રહ્યું હતું કે કંઈક બરાબર નથી, પરંતુ આસપાસના લોકો તેમને કંઈ સ્પષ્ટપણે કહી રહ્યા ન હતા. આ બેચેની સતત વધી રહી હતી. માયા માલીએ જણાવ્યું કે પિંકી રોજ સવારે તેમને ફોન કરતી હતી. તે હંમેશા કહેતી હતી, “મમ્મી, નાસ્તો કરી લો, દવા ખાઈ લો.” તે દિવસે ન તો પિંકીનો કોઈ ફોન આવ્યો અને ન તો કોઈ મેસેજ. આ જ વાત તેમને સૌથી વધુ ખટકી રહી હતી, કારણ કે આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. માતાએ જણાવ્યું, પિંકી ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે મોટા નેતાઓ અને અધિકારીઓ સાથે કામ કરતી હતી. તે અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ, નારાયણ રાણે અને તેમના પુત્ર સાથે પણ યાત્રાઓ કરી ચૂકી હતી. પરિવારને તેની નોકરી પર ગર્વ હતો. માયા માલીએ કહ્યું કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે વિમાન દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ કે કોઈ અન્ય કારણસર. તેઓ ઈચ્છે છે કે આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ થાય, જેથી સત્ય સામે આવી શકે. છેવટે તેમણે તૂટતા અવાજે કહ્યું કે તેમની દીકરી હવે તેમની પાસે નથી અને તે ક્યારેય પાછી નહીં આવે. આ નુકસાન તેમના માટે એવું છે, જેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. બસ્તીમાં થયા હતા પિંકીના લગ્ન ભૈંસા ગામમાં રહેતા શીતલા પ્રસાદ માલી પિંકીના પિતરાઈ ભાઈ છે. તેમણે જણાવ્યું કે પિંકીના પિતા શિવ કુમાર માલી ચાર ભાઈઓ છે. તેમના પિતા બાબુ રામનું ગયા વર્ષે અવસાન થયું હતું, જેના કારણે પરિવાર પહેલેથી જ દુઃખમાં હતો. શીતલા પ્રસાદે જણાવ્યું કે પિંકીનો પરિવાર છેલ્લા 30–35 વર્ષથી મુંબઈમાં રહી રહ્યો છે. પરિવાર રોજગારના સિલસિલામાં ત્યાં સ્થાયી થયો હતો. લગભગ બે મહિના પહેલા જ પરિવાર મુંબઈથી ગામ આવ્યો હતો અને થોડો સમય સાથે વિતાવ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું કે પિંકીના લગ્ન ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં થયા હતા. લગ્ન પછી તેના સાસરિયાં પણ મુંબઈમાં જ રહે છે. આ દુર્ઘટનાના સમાચારથી ગામ અને પરિવાર બંનેમાં શોક છવાઈ ગયો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *