Afghanistan Claims Pakistan Post Capture; Taliban Attacks Border
ઇસ્લામાબાદ9 મિનિટ પેહલા
- કૉપી લિંક

પાકિસ્તાન પર તાલિબાનના હુમલાનો આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી તણાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાને જવાબી કાર્યવાહી કરતા અત્યાર સુધી પાકિસ્તાની સેનાની 15 ચોકીઓ પર કબજો કરી લીધો છે.
સૂત્રોએ TOLOnewsને જણાવ્યું કે નંગરહાર, નૂરિસ્તાન, કુનાર, ખોસ્ત, પક્તિયા અને પક્તિકા જેવા સરહદી વિસ્તારોમાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. આ ચોકીઓ નંગરહારના ગોશ્તા જિલ્લા અને કુનાર પ્રાંતમાં ડુરંડ લાઇન નજીક આવેલી છે. જોકે, હજુ સુધી આ સંબંધિત ફોટા અને વીડિયો સામે આવ્યા નથી.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું છે કે પાકિસ્તાનના હવાઈ હુમલાઓનો સૈન્ય રીતે જવાબ આપવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાને થોડા દિવસો પહેલા અફઘાનિસ્તાનની અંદર હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાનનું કહેવું હતું કે આ હુમલા પાકિસ્તાની તાલિબાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઠેકાણાઓ પર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે આ કાર્યવાહી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી અને જરૂર પડ્યે ભવિષ્યમાં પણ આવા ઓપરેશન કરવામાં આવશે.
પાકિસ્તાને TTP અને ISISના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી
આ પહેલા રવિવારે વહેલી સવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં એરસ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનનું કહેવું હતું કે આ કાર્યવાહી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે સંકળાયેલા ઠેકાણાઓ વિરુદ્ધ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના ઉપ ગૃહ મંત્રી તલાલ ચૌધરીએ દાવો કર્યો હતો કે સરહદી વિસ્તારોમાં TTPના ઠેકાણાઓ પરની કાર્યવાહીમાં ઓછામાં ઓછા 70 લડવૈયાઓ માર્યા ગયા. બાદમાં પાકિસ્તાની અખબાર ડોને આ સંખ્યા 80 સુધી પહોંચવાનો દાવો કર્યો હતો.

અફઘાનિસ્તાનનો નાંગરહારનો મોટો વિસ્તાર પાકિસ્તાની હુમલા બાદ આગની લપેટમાં ઘેરાઈ ગયો હતો. (સોર્સ- X)
તાલિબાને કહ્યું હતું કે સમય આવ્યે સણસણતો જવાબ આપીશું
અફઘાનિસ્તાને આ હુમલાઓની સખત નિંદા કરી હતી. તાલિબાનનું કહેવું હતું કે હુમલાઓમાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ટોલો ન્યૂઝના રિપોર્ટ અનુસાર, નંગરહારમાં એક ઘર પર હુમલા બાદ એક જ પરિવારના 23 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
તે જ સમયે, અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાનને ‘યોગ્ય સમયે સખત જવાબ’ આપવામાં આવશે. મંત્રાલયે આ હુમલાઓને દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
પાકિસ્તાન લાંબા સમયથી તાલિબાન સરકાર પર દબાણ કરતું રહ્યું છે કે તે પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ આતંકવાદી સંગઠનને ન કરવા દે. ઇસ્લામાબાદનો આરોપ છે કે TTP અફઘાનિસ્તાનથી કાર્યરત છે, જ્યારે તાલિબાન સરકાર આ આરોપોનો સતત ઇનકાર કરતી રહી છે.
શુક્રવારની નમાજ દરમિયાન પાકિસ્તાનની શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો સોમવારે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો તેના કલાકો પહેલા, ખૈબર પખ્તુનખ્વાના બન્નુ જિલ્લામાં સુરક્ષા કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં લેફ્ટનન્ટ કર્નલ સહિત બે સૈનિકો માર્યા ગયા હતા.
16 ફેબ્રુઆરીના રોજ, પાકિસ્તાનના બાજૌરમાં વિસ્ફોટકોથી ભરેલું એક વાહન સુરક્ષા ચોકી પર અથડાયું હતું. આ હુમલામાં અગિયાર સૈનિકો અને એક બાળકનું મોત થયું હતું. અધિકારીઓએ હુમલાખોરને અફઘાન નાગરિક તરીકે ઓળખાવ્યો હતો.
અગાઉ, 6 ફેબ્રુઆરીના રોજ, શુક્રવારની નમાજ દરમિયાન ઇસ્લામાબારા ખાતે શિયા મસ્જિદ પર આત્મઘાતી હુમલો થયો હતો. પાકિસ્તાની અખબાર ધ ડોન અનુસાર, આ હુમલામાં 31 લોકો માર્યા ગયા હતા અને 169 ઘાયલ થયા હતા. ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

ગયા વર્ષે 9 ઓક્ટોબરે પાકિસ્તાને કાબુલના એક રહેણાંક વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હતો.
ઓક્ટોબરમાં હિંસક અથડામણો પછી તણાવ વધ્યો હતો ઓક્ટોબરમાં સરહદી અથડામણોમાં બંને પક્ષના સૈનિકો અને નાગરિકોના મોત થયા ત્યારથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. 19 ઓક્ટોબરના રોજ કતાર દ્વારા યુદ્ધવિરામની મધ્યસ્થી કરવામાં આવી હતી, પરંતુ તુર્કીના ઇસ્તંબુલમાં વાટાઘાટો ઔપચારિક કરાર સુધી પહોંચી શકી ન હતી.
9 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સ્થળોને નિશાન બનાવીને હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. તાલિબાને દાવો કર્યો હતો કે પાકિસ્તાને આ હુમલાઓ કર્યા છે.
જોકે પાકિસ્તાને સ્પષ્ટપણે જણાવ્યું ન હતું કે તેણે આ હુમલાઓ કર્યા છે, પરંતુ તેણે તાલિબાનને ચેતવણી આપી હતી કે તે તેની ધરતી પર TTPને આશ્રય ન આપે.
