JKના કિશ્તવાડમાં ટેરર નેટવર્કનો સફાયો:પહેલગામ હુમલા પછીથી ટાર્ગેટેમાં હતા તે 7 આતંકીને ઉડાવી દીધા, જૈશ કમાન્ડર સૈફુલ્લાહ પણ સામેલ; 326 દિવસ ઓપરેશન ચાલ્યુ




જમ્મુ- કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચતરુ વિસ્તારમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેનાના વ્હાઇટ નાઈટ કોર્પ્સે સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા 326 દિવસથી મુશ્કેલ પહાડી વિસ્તારોમાં ચાલી રહેલા સતત સંયુક્ત ઓપરેશનમાં 7 ખતરનાક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે X પર 7 આતંકવાદીના ફોટા પોસ્ટ કર્યા અને લખ્યું છે કે 326 દિવસ પછી કિશ્તવાડમાંથી આતંકના નેટવર્કનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદીઓમાં જૈશનો કમાન્ડર સૈફુલ્લાહ પણ માર્યો ગયો છે. સૈફુલ્લાહ કિશ્તવાડમાં આતંકનો કમાન્ડર હતો. 22 એપ્રિલ 2025એ પહેલગામમાં બૈસરન વેલીમાં 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરનાર આતંકી નેટવર્કનો સફાયો કરી નાખવામાં આવ્યો છે, જેથી બીજીવાર આતંકીઓ કાશ્મીરમાં પગ મૂકતાં બેવાર વિચાર કરે. વ્હાઇટ નાઇટ કોરે જણાવ્યું હતું કે કિશ્તવાડમાં તેમના સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPF સહિત સેનાની ઇન્ટેલિજન્સ એજન્સી પણ સામેલ રહી. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ચતરુ વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ, જેમાં 3 આતંકવાદી માર્યા ગયા હતા. આ પહેલાં 4 ફેબ્રુઆરીએ પણ ચતરુમાં જ સુરક્ષા દળોએ જૈશના એક આતંકવાદીને ઠાર માર્યો હતો. ઉધમપુરમાં પણ ગુફામાં છુપાયેલા જૈશના 2 આતંકવાદીને ગ્રેનેડ વિસ્ફોટમાં ઠાર માર્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન અત્યંત પડકારજનક પરિસ્થિતિઓમાં હાથ ધરવામાં આવ્યું હતું. કિશ્તવાડના ઊંચાઈવાળા વિસ્તારોમાં કડકડતી ઠંડી અને વરસાદ હોવા છતાં સુરક્ષા દળો દૃઢ નિશ્ચયમાં કાર્યરત રહ્યા. સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFએ એક મજબૂત ઈન્ટેલિજન્સ નેટવર્કના આધારે આતંકવાદીઓનો પીછો કર્યો અને આખરે ચતરુમાં તમામ સાત આતંકવાદીઓને ઠાર કર્યા. આતંકવાદીઓ ભાગતા રહ્યા, તેમને છુપાવા કોઈ જગ્યા મળી નહીં ગયા વર્ષ દરમિયાન ચતરુનાં ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એક ડઝનથી વધુ એન્કાઉન્ટર થયાં. સંયુક્ત દળોના દબાણને કારણે આતંકવાદીઓ સતત તેમના લોકેશન બદલતા રહ્યા. તેઓ કિશ્તવાડથી ડોડા, કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં ભાગી ગયા, પરંતુ સુરક્ષા દળોએ તેમનો સતત પીછો કર્યો. અંતે, સૈફુલ્લાહ અને તેની ટીમને સુરક્ષા દળોએ ઘેરી લીધા અને ઢાળી દીધા. વ્હાઇટ નાઈટ કોર્પ્સે કહ્યું, “આપણી સેના અને ગુપ્તચર એજન્સીઓની હિંમત અને દૃઢ નિશ્ચય સામે કંઈ ટકી શકે નહીં. આ આતંકવાદી નેટવર્ક માટે એક મોટો પ્રહાર છે.” કોણ હતો જૈશનો કમાન્ડર સૈફુલ્લાહ સુરક્ષા એજન્સીઓના પ્રારંભિક અંદાજો પરથી જાણવા મળે છે કે રવિવારે માર્યા ગયેલા ત્રણ આતંકવાદીમાંથી એક સૈફુલ્લાહ હતો, જે પોતાને જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર ગણાવતો હતો. કહેવાય છે કે સૈફુલ્લાહે લગભગ પાંચ વર્ષ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. તે સુરક્ષા દળો પરના અનેક જીવલેણ હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હતો, જેમાં જુલાઈ 2024નો હુમલો પણ સામેલ છે, જેમાં ચાર સૈનિકો માર્યા ગયા હતા. સુરક્ષા દળો ‘મિશન મોડ’માં કાર્યરત છે હાલમાં 7 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુમાં એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે સુરક્ષા દળોને પર્વતીય પ્રદેશમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા અને ઘૂસણખોરીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ‘મિશન મોડ’માં કાર્યરત થવા નિર્દેશ આપ્યો હતો. આ જીત બાદ સેનાએ પોતાનો સંકલ્પ પુનરાવર્તિત કરતા કહ્યું, “અમે સેવા કરીએ છીએ, અમે રક્ષા કરીએ છીએ!”



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *