Loans will not become cheaper because inflation has fallen. | મોંઘવારી ઘટી, લોન સસ્તી નહીં થાય: RBIએ રેપો રેટ 5.50% પર યથાવત્ રાખ્યો; GDP ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.80% કર્યો
મુંબઈ18 કલાક પેહલા
- કૉપી લિંક

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. એને 5.5% પર યથાવત્ રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે લોન વધુ મોંઘી નહીં થાય અને તમારો EMI વધશે નહીં. ઓગસ્ટમાં પાછલી બેઠકમાં પણ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
આ નિર્ણય 29 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લેવામાં આવ્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે, 1 ઓક્ટોબરના રોજ આ જાહેરાત કરી હતી.
RBI ગવર્નરે કહ્યું હતું કે કમિટીના તમામ સભ્યો વ્યાજદર સ્થિર રાખવાના પક્ષમાં હતા. ફુગાવામાં ઘટાડો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતીય રિઝર્વ બેંક (RBI) જે દરે બેંકોને ધિરાણ આપે છે એને રેપો રેટ કહેવામાં આવે છે. દરમાં કોઈ ફેરફાર ન થાય, એટલે વ્યાજદર વધશે કે ઘટશે નહીં.
આ વર્ષે રેપો રેટ 3 વખત ઘટાડાયો, 1%નો ઘટાડો
ફેબ્રુઆરીની બેઠકમાં RBIએ વ્યાજદર 6.5%થી ઘટાડીને 6.25% કર્યો. લગભગ પાંચ વર્ષ પછી મોનેટરી પોલિસી કમિટી દ્વારા આ પ્રથમ દર ઘટાડો હતો.
એપ્રિલની બેઠકમાં બીજો દર ઘટાડો 0.25% હતો. જૂનમાં ત્રીજો દર ઘટાડો 0.50% હતો. આનો અર્થ એ થયો કે નાણાકીય નીતિ સમિતિએ ત્રણ રાઉન્ડમાં વ્યાજદરમાં 1% ઘટાડો કર્યો.
રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો અને ઘટાડો શા માટે કરે છે?
કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી ટૂલ હોય છે. જ્યારે ફુગાવો ખૂબ ઊંચો હોય છે ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે.
જો પોલિસી રેટ વધારે હોય તો સેન્ટ્રલ બેંક તરફથી લોન બેંકો માટે વધુ મોંઘી બનશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન વધુ મોંઘી બનાવે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. જ્યારે નાણાંનો પ્રવાહ ઓછો થાય છે ત્યારે માગ ઘટે છે, જેના કારણે ફુગાવામાં ઘટાડો થાય છે.
એવી જ રીતે જ્યારે અર્થતંત્ર મુશ્કેલ તબક્કામાંથી પસાર થાય છે ત્યારે પુનઃપ્રાપ્તિ માટે નાણાં પ્રવાહમાં વધારો જરૂરી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી કેન્દ્રીય બેંક તરફથી બેંકોને લોન સસ્તી મળે છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
RBIની બેઠક દર બે મહિને યોજાય છે
નાણાકીય નીતિ સમિતિમાં છ સભ્ય હોય છે, તેમાંથી ત્રણ RBIના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. બેઠક દર બે મહિને મળે છે.
તાજેતરમાં ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે નાણાકીય નીતિ સમિતિની બેઠકોનું સમયપત્રક બહાર પાડ્યું. આ નાણાકીય વર્ષમાં કુલ છ બેઠક યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ હતી.