Shaktisinh Gohil Alleges Corruption Ekta Parade Tableau Work Launch | ‘ગુજરાતમાં સરદાર પટેલના નામે ભાજપનો ભ્રષ્ટાચાર’: ટેન્ડર-બિડિંગ વગર એકતા પરેડમાં ટેબ્લો બનાવવાનું કામ 5 ફર્મ્સને સોંપ્યું; કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના આક્ષેપ
7 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌપ્રથમ અધ્યક્ષ રહ્યા હતા અને 25 વર્ષ સુધી આ પદ શોભાવ્યું હતું, આજે તે જ મહાન વિભૂતિના નામ પર ભાજપ સરકાર ભ્રષ્ટાચાર આચરી રહી છે. ભારત સરકાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ગુજરાતમાં યોજાનારી ‘એકતા પરેડ’માં ટેબ્લો બનાવવાના મામલે કરોડોના ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.
શક્તિસિંહ ગોહિલે એક લિસ્ટ બતાવીને જણાવ્યું હતું કે, 31 ઓક્ટોબરે એક સર્ક્યુલર બહાર પાડીને એકતા પરેડ માટેના ટેબ્લો બનાવવાનું કામ માત્ર 5 નક્કી કરેલી ફર્મ્સને જ સોંપવાનો આદેશ આપ્યો હતો. આ કામ માટે કોઈ પણ પ્રકારના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી કે નથી કોઈ બિડિંગ પ્રક્રિયા કરવામાં આવી. સરકારે આ પાછળ એવું વિચિત્ર કારણ આપ્યું છે કે તેમની પાસે ટેન્ડર પ્રક્રિયા કરવાનો પૂરતો સમય નહોતો, તેથી સીધી રીતે જ માનીતી પેઢીઓને કામ સોંપી દેવામાં આવ્યું.
આ વાતમાં ઊંડા ઉતરતા શક્તિસિંહે વધુમાં જણાવ્યું કે, જે 5 પેઢીઓને આ કામ સોંપાયું છે, તેમાંની બે ફર્મના માલિકો સિદ્ધેશ્વર કનુગા અને વિશા કનુગા પતિ-પત્ની છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર પોતાના અંગત લોકોને ફાયદો કરાવવા માટે એક જ શતરંજના ખેલાડીઓ દ્વારા આખો ખેલ રમી રહી છે.
આ 5 ફર્મ્સને સોંપાયું હતું કામ- શક્તિસિંહ • મેસર્સ લાઇવ પિક્સલ ટેકનોલોજી • મેસર્સ સિદ્ધેશ્વર કનુગા • મેસર્સ વિશા કનુગા • મેસર્સ સુશાંત ખેડકર • મેસર્સ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ
શક્તિસિંહ ગોહિલની વાતના મુખ્ય મુદ્દા: 1. સરદારના નામે ભ્રષ્ટાચાર: શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ છે કે ભાજપે લોખંડી પુરુષના નામ પર પણ ભ્રષ્ટાચાર કરવાનું બાકી રાખ્યું નથી. 2. ટેન્ડર પ્રક્રિયાનો અભાવ: એકતા પરેડના ટેબ્લો માટે કોઈ ટેન્ડર કે બિડિંગ કરવામાં આવ્યું નથી, “સમય નથી” તેવું બહાનું બતાવી પારદર્શિતાનો ભોગ લેવાયો છે. 3. માનીતી 5 પેઢીઓ: માત્ર 5 ફર્મ્સને જ કામ સોંપવાનો સર્ક્યુલર બહાર પડાયો, જેના સિવાય કોઈ ટેબ્લો બનાવી શકશે નહીં. 4. પારિવારિક સાંઠગાંઠ: પસંદ કરાયેલી પેઢીઓમાં મેસર્સ સિદ્ધેશ્વર કનુગા અને મેસર્સ વિશા કનુગા પતિ-પત્ની હોવાનું સામે આવ્યું છે.